પરબ

પરબ

સભ્ય બનો
'પરબ'માં જાહેરખબર માટે
'પરબ' સંપર્ક ઈમેલ : parabgsp@gmail.com



પરબ વિશે

સંપાદક: ભરત મહેતા
પરામર્શનસમિતિ: હર્ષદ ત્રિવેદી (પ્રમુખ), સમીર ભટ્ટ (મહામંત્રી)
યોગેશ જોષી (ઉપપ્રમુખ), દર્શક આચાર્ય (ઉપપ્રમુખ)


પાંચ દાયકાથીય વધારે સમયથી પ્રકાશિત થતું ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર ‘પરબ’ ગુજરાતીનાં ઉત્તમ સાહિત્યિક સામયિકોમાં અગ્રસ્થાને રહ્યું છે. કવિતા, વાર્તા, નિબંધ આદિ સર્જનાત્મક કૃતિઓ ઉપરાંત તેમાં પ્રસિધ્ધ થતાં વિવેચનસાહિત્યના અભ્યાસલેખો અને ગ્રંથાવલોકનો આદિ સામગ્રીથી સાંપ્રત ગુજરાતી સાહિત્યની ગતિવિધિનો જીવંત આલેખ મળે છે. આમ સાહિત્યના વર્તમાન તેમ જ ભાવિ જિજ્ઞાસુઓ માટે ‘પરબ’ મહત્ત્વના સ્ત્રોત સમાન છે.

‘પરબ’ વિશેષ

કાકાસાહેબ કાલેલકર દ્વારા, તેજસ્વિતાની અખૂટ પરબ નીવડવાની શુભેચ્છા પામી, ૧૯૬૦માં અમદાવાદથી, અનુક્રમે નગીનદાસ પારેખ, નિરંજન ભગત, ભૃગુરાય અંજારિયા અને યશવન્ત શુક્લના સ્થાપક સંપાદકમંડળના માર્ગદર્શન તળે ગુજરાતી સાહિત્ય પરિષદનું આરંભે ત્રૈમાસિક, વચ્ચે અનિયતકાલિક અને હાલ માસિક મુખપત્ર રૂપે ‘પરબ’ પ્રગટ થાય છે. આવશ્યકતાનુસાર એના સંપાદનકાર્યમાં પીતામ્બર પટેલ, જયંત કોઠારી, મનસુખલાલ ઝવેરી, ગુલાબદાસ બ્રોકર, ભોળાભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ, જયંત પંડ્યા, ચન્દ્રકાન્ત ટોપીવાળા, રમેશ ર. દવે, મનહર મોદી, જેવા વિદ્વાનોનો સહયોગ મળતો રહ્યો છે.

સાહિત્ય પરિષદનાં વાર્ષિક સંમેલનો-જ્ઞાનસત્રોના સવિસ્તાર અહેવાલો તથા તેમાં રજૂ થયેલા નિબંધો, સૈધ્ધાંતિક ચર્ચાઓ, ગુજરાતી સાહિત્યનાં કર્તા-કૃતિનાં પરિચય-અવલોકનો તેમ જ ભારતીય અને વિશ્વભાષાઓની પ્રશિષ્ટ કૃતિઓના અનુવાદ પ્રગટ કરતા ‘પરબ’માં, ૧૯૮૦થી કવિતા, ટૂંકી વાર્તા, લલિત નિબંધ, નવલકથાખંડ અને એકાંકી-નાટક જેવી સર્જનાત્મક કૃતિઓ પણ પ્રગટ થાય છે.

રવીન્દ્રસાહિત્ય, વાર્તાવિવેચન, ગુજરાતી માધ્યમની પહેલી પચ્ચીસ, સાહિત્ય અને પત્રકારત્વ, ઉર્દૂસાહિત્ય અને ગુજરાત, બાલસાહિત્ય, નર્મદ તથા સદીનું સરવૈયું તેમ જ નારીવાદ અને આઠમા-નવમા દાયકાની સાહિત્યિક ગતિવિધિને તે દરમ્યાન પ્રકાશિત પ્રમુખ-સાહિત્યસ્વરૂપોમાંના નોંધપાત્ર પુસ્તકોની સમીક્ષા દ્વારા મૂલવતા વિશેષાંકોનું પ્રકાશન એ ‘પરબ’નું નોંધપાત્ર પ્રદાન છે. હાલ શ્રી યોગેશ જોષી તંત્રી તરીકે મૂલ્યવાન સેવાઓ આપી રહ્યા છે.


'પરબ'માં જાહેરખબર માટે:
ગુજરાતી સાહિત્યના મુખપત્ર 'પરબ'માં થતી જાહેરખબરોના ભાવ નવેસરથી નિયત કરવામાં આવ્યા છે. અગાઉનાં વર્ષોમાં જે જે સંસ્થા /વ્યક્તિઓ /શુભેચ્છકો તરફથી જાહેરખબર /સ્થાનસમર્પણ મળતાં રહ્યાં છે એ બદલ આભારી છીએ. ‘પરબ’ના સંવર્ધન માટે ચાલુ વર્ષ અને આગામી વર્ષોમાં પણ જાહેરખબર સંદર્ભે આપનો સહકાર મળી રહેશે એવી અપેક્ષા અને વિનંતી. નોંધ: પુસ્તકોની જાહેરખબર માટે ૪૦% વળતર મળશે. આ વળતર ફક્ત અંદરના સાદા પાન માટે જ આપી શકાશે.

જાહેરખબર આપવા અહીં ક્લીક કરો.

વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.